창세기 9장 구자라트 IRV

  1. 1 પછી ઈશ્વરે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, “સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો.
  2. 2 પૃથ્વીના દરેક પશુ પર, આકાશના દરેક પક્ષી પર, પૃથ્વી પર પેટે ચાલનારાં દરેક અને સમુદ્રનાં દરેક માછલાં તમારાથી બીશે અને ડરશે. તેઓને તમારા હાથમાં આપવામાં આવેલા છે.
  3. 3 પૃથ્વી પર ચાલનારાં બધા પશુ તમારે સારુ ખોરાક થશે. જે પ્રમાણે મેં તમને લીલાં શાક આપ્યાં છે તે પ્રમાણે હવે હું તમને સઘળું બક્ષુ છું.
  4. 4 પણ તેનું માંસ તમારે જીવ એટલે લોહી સહિત ન ખાવું.
  5. 5 હું નિશ્ચે તમારા લોહીનો બદલો માગીશ. દરેક પશુ પાસેથી હું બદલો લઈશ. કોઈપણ માણસના હાથ પાસેથી, એટલે કે, જે હાથે તેણે પોતાના ભાઈની હત્યા કરી છે, તેના જીવનો બદલો હું માંગીશ.
  6. 6 જે કોઈ માણસનું લોહી વહેવડાવે, તેનું લોહી પણ માણસથી વહેવડાવાશે, કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું છે.
  7. 7 તમે સફળ થાઓ, આખી પૃથ્વી પર વંશવૃદ્ધિ કરો અને વધતા જાઓ.”
  8. 8 પછી ઈશ્વરે નૂહ સાથે તથા તેના દીકરાઓ સાથે વાત કરતા કહ્યું,
  9. 9 “હું જે કહું છું તે સાંભળો! હું તારી સાથે તથા તારી પાછળ આવનાર સંતાનો સાથે મારો કરાર સ્થાપન કરીશ.
  10. 10 અને તમારી સાથે પક્ષી, પશુ અને પૃથ્વી પરનાં સર્વ જાનવર તે સર્વની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું.
  11. 11 તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે, હવે પછી ફરી જળપ્રલયથી સર્વ માનવજાતનો નાશ થશે નહિ. પૃથ્વીનો નાશ કરવાને ફરી કદી જળપ્રલય થશે નહિ.
  12. 12 ઈશ્વરે કહ્યું, “મારી તથા તમારી વચ્ચે તથા તમારી સાથે જે દરેક સજીવ પ્રાણી છે તેની સાથે તથા ભાવિ પેઢીને સારુ કર્યો છે તે કરારનું આ ચિહ્ન છે:
  13. 13 મેં મારું મેઘધનુષ્ય વાદળમાં મૂક્યું છે અને તે મારા તથા પૃથ્વી વચ્ચેના કરારની ચિહ્નરૂપ થશે.
  14. 14 જયારે પૃથ્વી પર હું વરસાદ વરસાવીશ ત્યારે એમ થશે કે વાદળમાં મેઘધનુષ્ય દેખાશે,
  15. 15 ત્યારે મારી અને તમારી તથા સર્વ સાથે કરેલો કરારનું હું સ્મરણ કરીશ. સર્વ સજીવોનો નાશ કરવાને માટે ફરી કદી જળપ્રલય થશે નહિ.
  16. 16 મેઘધનુષ્ય વાદળમાં દેખાશે અને ઈશ્વર પૃથ્વીનાં સર્વ સજીવ પ્રાણીની વચ્ચે, જે સર્વકાળનો કરાર છે તે યાદ રાખવાને હું ધનુષ્યની સામે જોઈશ.”
  17. 17 પછી ઈશ્વરે નૂહને કહ્યું, “મારી તથા પૃથ્વી પરના સર્વ સજીવોની વચ્ચે જે કરાર મેં સ્થાપિત કર્યો છે તેનું આ ચિહ્ન છે.”
  18. 18 નૂહના દીકરા જેઓ વહાણમાંથી બહાર આવ્યા તે શેમ, હામ તથા યાફેથ હતા. હામ કનાનનો પિતા હતો.
  19. 19 નૂહના આ ત્રણ દીકરાઓ હતા. તેઓથી આખી પૃથ્વી પર વસ્તી થઈ.
  20. 20 નૂહ ખેતી કરવા લાગ્યો અને તેણે દ્રાક્ષવાડી રોપી.
  21. 21 તેણે દ્રાક્ષાસવ પીધો અને તેને નશો ચઢ્યો હોવાથી તે તેના તંબુમાં નિર્વસ્ત્ર સ્થિતિમાં જ સૂઈ ગયો.
  22. 22 કનાનના પિતા હામે તેના પિતાને નિર્વસ્ત્ર અવસ્થામાં જોયા અને બહાર જઈને તેના બન્ને ભાઈઓને તે વિષે કહ્યું.
  23. 23 તેથી શેમ તથા યાફેથે એક વસ્ત્ર લીધું, તેને તેમના બન્ને ખભા પર નાખ્યું અને તેઓએ પાછા પગલે ચાલીને તેમના પિતાના શરીરને ઓઢાડ્યું. તેઓનાં મુખ બીજી તરફ ફેરવેલાં હતાં તેથી તેઓને પિતાની નિર્વસ્ત્ર અવસ્થા દેખાઈ નહિ.
  24. 24 જયારે નૂહ નશામાંથી જાગ્યો ત્યારે તેના નાના દીકરાએ તેની સાથે જે કર્યું હતું તે તેણે જાણ્યું.
  25. 25 તેથી તેણે કહ્યું કે, “કનાન શાપિત થાય. દાસોનો દાસ તે તેના ભાઈઓને સારુ થશે.”
  26. 26 તેણે કહ્યું કે, “ઈશ્વર, શેમના પ્રભુની સ્તુતિ થાઓ. કનાન તેનો દાસ થાઓ.
  27. 27 યાફેથને યહોવાહ વૃદ્ધિ આપો, અને તે શેમના તંબુમાં તેનું ઘર બનાવે. કનાન તેનો દાસ થાઓ.”
  28. 28 જળપ્રલય પછી નૂહ ત્રણસો પચાસ વર્ષ જીવ્યો.
  29. 29 નૂહનો સર્વ દિવસ નવસો પચાસ વર્ષનો હતો અને તે મરણ પામ્યો.