역대상 23장 구자라트 IRV
- 1 જયારે દાઉદ ઘણો વૃદ્ધ થયો. ત્યારે તેણે રાજપદેથી નિવૃત્તિ લીધી. અને તેણે તેના પુત્ર સુલેમાનને ઇઝરાયલ પર રાજા તરીકે નીમ્યો.
- 2 દાઉદે ઇઝરાયલના સર્વ આગેવાનોને, યાજકોને અને લેવીઓને એકઠા કર્યા.
- 3 ત્રીસ વર્ષના અને તેથી વધારે વય ધરાવતા લેવીઓની ગણતરી કરવામાં આવી. તેઓની સંખ્યા આડત્રીસ હજાર થઈ.
- 4 તેઓમાંના ચોવીસ હજારને ઈશ્વરના ભક્તિસ્થાનના કામની દેખરેખ સોંપવામાં આવી અને છ હજારને અમલદારો અને ન્યાયાધીશો તરીકે નીમ્યા.
- 5 ચાર હજારને દ્વારપાળો તરીકે નીમ્યા. દાઉદે પોતે બનાવેલા વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરવા માટે, ચાર હજાર ગાયકોને નિમણૂક આપી.
- 6 દાઉદે તેઓને; ગેર્શોન, કહાથ અને મરારી, એમ ત્રણ વિભાગમાં, લેવીઓના પુત્રોના નામ પ્રમાણે વહેંચ્યા.
- 7 ગેર્શોનના કુળના વંશજો: લાદાન અને શિમઈ.
- 8 લાદાનના ત્રણ દીકરા: યહીએલ ઝેથામ અને યોએલ.
- 9 શિમઈના ત્રણ દીકરા: શલોમોથ, હઝીએલ, હારાન. તેઓ લાદાનના કુળના મુખ્ય આગેવાનો હતા.
- 10 શિમઈના ચાર દીકરા: યાહાથ, ઝીના, યેઉશ, અને બરિયા.
- 11 યાહાથ જ્યેષ્ઠ હતો, તેની પછી બીજા ક્રમે ઝીઝાહ, પણ યેઉશ અને બરિયાને ઘણાં પુત્રો ન હતા, તેથી તેઓ એક જ કુટુંબ તરીકે ગણાયા.
- 12 કહાથના ચાર દીકરા: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ.
- 13 આમ્રામના દીકરા: હારુન અને મૂસા. હારુન અને તેના વંશજોને; પરમપવિત્ર વસ્તુઓ અર્પવા, યહોવાહ આગળ ધૂપ બાળવા, તેમની સેવા કરવા અને તેમના નામે આશીર્વાદ આપવા માટે કાયમી ધોરણે, પસંદ કરવામાં આવ્યા હતા.
- 14 પણ ઈશ્વરના સેવક મૂસાના સંદર્ભમાં, તેના દીકરાઓને, લેવીઓમાં ગણવામાં આવ્યા હતા.
- 15 મૂસાના દીકરા: ગેર્શોમ અને એલિએઝેર.
- 16 ગેર્શોમના વંશજોમાં શબુએલ, જ્યેષ્ઠ હતો.
- 17 એલિએઝેરનો જ્યેષ્ઠ દીકરો રહાબ્યા. એલીએઝેરને બીજા દીકરા ન હતા, પણ રહાબ્યાનાં ઘણાં સંતાનો હતા.
- 18 યિસ્હારનો જ્યેષ્ઠ દીકરો, શલોમિથ.
- 19 હેબ્રોનના દીકરા: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
- 20 ઉઝિયેલના દીકરામાં જ્યેષ્ઠ મિખા અને બીજો યિશ્શિયા.
- 21 મરારીના દીકરા માહલી અને મુશી. માહલીના દીકરા: એલાઝાર અને કીશ.
- 22 એલાઝાર મૃત્યુ પામ્યો ત્યારે તેને એકપણ દીકરો નહોતો. તેને ફક્ત દીકરીઓ જ હતી. કીશના દીકરાઓએ તેઓની સાથે લગ્ન કર્યા.
- 23 મુશીના ત્રણ દીકરા: માહલી, એદેર અને યેરેમોથ.
- 24 તેઓ પોતાનાં કુટુંબો પ્રમાણે લેવીઓના દીકરા હતા. જેઓ નામવાર ગણતરીમાં ગણાયા હતા. તેઓ વીસ તથા તેથી વધારે ઉંમરના હતા. તેઓ યહોવાહના ભક્તિસ્થાનમાં સેવાનું કામ કરતા હતા. તેઓ પોતાના કુટુંબોનાં મુખ્ય આગેવાનો હતા.
- 25 દાઉદે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહે, તેમના લોકોને વિશ્રામ આપ્યો છે. તેઓ સર્વકાળ યરુશાલેમમાં નિવાસ કરશે.
- 26 હવે લેવીઓને, પવિત્ર મંડપ અને તેની સેવાને સારુ સામગ્રી ઊંચકવાની જરૂર નહિ પડે.”
- 27 દાઉદના અંતિમ શબ્દોથી, વીસ અને તેથી વધારે વર્ષની વયના લેવીપુત્રોની ગણતરી કરવામાં આવી હતી.
- 28 તેઓનું કામ, યહોવાહના ભક્તિસ્થાનમાં સેવાને સારુ હારુનના પુત્રોને મદદ કરવાનું હતું. તેઓએ આંગણાઓમાં, ઓરડાઓમાં, સર્વ પવિત્ર વસ્તુઓના શુદ્ધિકરણમાં અને ઈશ્વરના ભક્તિસ્થાનમાં સેવાના કામમાં, હારુનપુત્રોને સહાયરૂપ થવાનું કામ કરવાનું હતું.
- 29 ઈશ્વરને અર્પેલી રોટલી માટે, ખાદ્યાર્પણો માટેના લોટ માટે, ખમીર વગરની રોટલીના કે તવામાં શેકેલા કે તળેલા ખાદ્યાર્પણ માટે અને તમામ વસ્તુઓના તોલ અને માપ માટે પણ તેઓએ ધ્યાન રાખવાનું હતું.
- 30 વળી તેઓએ દરરોજ સવારે યહોવાહનો આભાર માનવા અને સ્તુતિ કરવા માટે ઊભા રહેવાનું હતું. એ જ રીતે સાંજે પણ
- 31 તથા યહોવાહની આગળ કાયમના ઠરાવેલા કાનૂન પ્રમાણે વિશ્રામવારે તથા ચંદ્રદર્શન અને નિયત તહેવારોને દિવસે ઠરાવેલી સંખ્યામાં યહોવાહને દહનીયાર્પણો અર્પણ કરવાની સેવામાં ઊભું રહેવાનું હતું.
- 32 યહોવાહના સભાસ્થાનની સેવાને સારુ મુલાકાતમંડપની, પવિત્રસ્થાનની અને તેમના ભાઈઓ હારુનના પુત્રોની સંભાળ રાખવી એ તેઓની જવાબદારી હતી.