시편 91편 구자라트 IRV
- 1 પરાત્પર ઈશ્વરના આશ્રયસ્થાનમાં જે વસે છે, તે સર્વસમર્થની છાયામાં રહેશે.
- 2 હું યહોવાહ વિષે કહીશ કે, “તે મારા આશ્રય અને ગઢ છે, એ જ મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું.”
- 3 કારણ કે તે તને શિકારીના સર્વ ફાંદાઓથી અને નાશકારક મરકીથી બચાવશે.
- 4 તે પોતાનાં પીંછાથી તને ઢાંકશે અને તેમની પાંખો નીચે આશ્રય મળશે. તેમની સત્યતા ઢાલ તથા બખતર છે.
- 5 રાત્રે જે ભય લાગે છે તેથી અથવા તો દિવસે ઊડનાર તીરથી,
- 6 અથવા અંધકારમાં ચાલનાર મરકીથી કે, બપોરે મહામારીથી તું બીશ નહિ.
- 7 તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશ હજાર માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહિ.
- 8 તું માત્ર નજરે જોશે અને તું દુષ્ટોને મળેલો બદલો જોશે.
- 9 કારણ કે યહોવાહ મારા આધાર છે! તેં પરાત્પરને તારો આશ્રય કર્યો છે.
- 10 તારા પર કંઈ દુઃખ આવી પડશે નહિ; મરકી તારા ઘરની પાસે આવશે નહિ.
- 11 કારણ કે તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે, તે પોતાના દૂતોને આજ્ઞા આપશે.
- 12 તેઓ તને પોતાના હાથોમાં ધરી રાખશે, કે જેથી તારો પગ માર્ગમાં ખડકો સાથે અફળાય નહિ.
- 13 તું સિંહ તથા સાપ પર પગ મૂકશે; સિંહનાં બચ્ચાંને તથા સાપને તું છૂંદી નાખશે.
- 14 કારણ કે તે મને સમર્પિત છે, માટે હું તેને બચાવીશ. તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ.
- 15 જ્યારે તે મને પોકારશે, ત્યારે હું તેને ઉત્તર આપીશ. હું સંકટસમયે તેની સાથે રહીશ; હું તેને વિજય અપાવીને માન આપીશ.
- 16 હું તેને લાંબા આયુષ્યથી વેષ્ટિત કરીશ અને તેને મારા તરફથી મળતો ઉદ્ધાર દેખાડીશ.