잠언 23장 구자라트 IRV
- 1 જ્યારે તું કોઈ અધિકારીની સાથે જમવા બેસે, ત્યારે તારી આગળ જે પીરસેલુ હોય તેનું ખૂબ ધ્યાનથી અવલોકન કર.
- 2 જો તું ખાઉધરો હોય, તો તારે ગળે છરી મૂક.
- 3 સ્વાદિષ્ટ વાનગીઓથી લોભાઈ ન જા, કારણ કે તે કપટી ભોજન છે.
- 4 ધનવાન થવા માટે તન તોડીને મહેનત ન કર; હોશિયાર થઈને પડતું મૂકજે.
- 5 જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દૃષ્ટિ ચોંટાડશે અને અચાનક દ્રવ્ય આકાશમાં ઊડી જશે અને ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે.
- 6 કંજૂસ માણસનું અન્ન ન ખા તેની સ્વાદિષ્ટ વાનગીથી તું લોભાઈ ન જા,
- 7 કારણ કે જેવો તે વિચાર કરે છે, તેવો જ તે છે. તે તને કહે છે, “ખાઓ અને પીઓ!” પણ તેનું મન તારા પ્રત્યે નથી.
- 8 જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે અને તારાં મીઠાં વચનો વ્યર્થ જશે.
- 9 મૂર્ખના સાંભળતાં બોલીશ નહિ, કેમ કે તારા શબ્દોના ડહાપણનો તે તિરસ્કાર કરશે.
- 10 પ્રાચીન સીમા પથ્થરોને ખસેડીશ નહિ અથવા અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ.
- 11 કારણ કે તેઓનો ઉદ્ધારનાર બળવાન છે તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે.
- 12 શિખામણ પર તારું મન લગાડ અને ડહાપણના શબ્દોને તારા કાન દે.
- 13 બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ; કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ.
- 14 જો તું તેને સોટીથી મારીશ, તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે.
- 15 મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની હોય, તો મારું હૃદય હરખાશે.
- 16 જ્યારે તારા હોઠો નેક વાત બોલશે, ત્યારે મારું અંતઃકરણ હરખાશે.
- 17 તારા મનમાં પાપીની ઈર્ષ્યા ન કરીશ, પણ હંમેશા યહોવાહથી ડરીને ચાલજે.
- 18 ત્યાં ચોક્કસ ભવિષ્ય છે અને તારી આશા સાર્થક થશે.
- 19 મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા અને તારા હૃદયને સાચા માર્ગમાં દોરજે.
- 20 દ્રાક્ષારસ પીનારાઓની અથવા માંસના ખાઉધરાની સોબત ન કર.
- 21 કારણ કે દ્રાક્ષારસ પીનારાઓ તથા ખાઉધરાઓ કંગાલવસ્થામાં આવશે અને ઊંઘ તેમને ચીંથરેહાલ કરી દેશે.
- 22 તારા પોતાના પિતાનું કહેવું સાંભળ અને જ્યારે તારી માતા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.
- 23 સત્યને ખરીદ, પણ તેને વેચીશ નહિ; હા, ડહાપણ, શિખામણ તથા બુદ્ધિને પણ ખરીદ.
- 24 નીતિમાન દીકરાનો પિતા આનંદથી હરખાય છે અને જે દીકરો શાણો છે તે તેના જન્મ આપનારને આનંદ આપશે.
- 25 તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર અને તારી જન્મ આપનાર માતાને હર્ષ થાય એવું કર.
- 26 મારા દીકરા, મને તારું હૃદય આપ અને તારી આંખો મારા માર્ગોને લક્ષમાં રાખે.
- 27 ગણિકા એક ઊંડી ખાઈ છે અને પરસ્ત્રી એ સાંકડો કૂવો છે.
- 28 તે લૂંટારાની જેમ સંતાઈને તાકી રહે છે અને માણસોમાં કપટીઓનો વધારો કરે છે.
- 29 કોને અફસોસ છે? કોણ ગમગીન છે? કોણ ઝઘડે છે? કોણ ફરિયાદ કરે છે? કોણ વગર કારણે ઘવાય છે? કોની આંખોમાં રતાશ છે?
- 30 જે ઘણીવાર સુધી દ્રાક્ષારસ પિધા કરે છે તેઓને, જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને અફસોસ છે.
- 31 જ્યારે દ્રાક્ષારસ લાલ હોય, જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય અને જ્યારે તે સરળતાથી પેટમાં ઊતરતો હોય, ત્યારે તે પર દૃષ્ટિ ન કર.
- 32 આખરે તે સર્પની જેમ કરડે છે અને નાગની જેમ ડસે છે.
- 33 તારી આંખો અજાણ્યા વસ્તુઓ જોશે અને તારું હૃદય વિપરીત બાબતો બોલશે.
- 34 હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, કોઈ વહાણના સઢના થાંભલાની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે.
- 35 તું કહેશે કે, “તેઓએ મારા પર પ્રહાર કર્યો!” “પણ મને વાગ્યું નહિ. તેઓએ મને માર્યો, પણ મને કંઈ ખબર પડી નહિ. હું ક્યારે જાગીશ? મારે ફરી એકવાર પીવું છે.”