이사야 37장 구자라트 IRV

  1. 1 જ્યારે હિઝકિયા રાજાએ એ સાંભળ્યું ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડ્યાં, શરીર પર ટાટ ધારણ કરીને તે યહોવાહના ઘરમાં ગયો.
  2. 2 તેણે મહેલના કારભારી એલિયાકીમને, લેખક શેબ્નાને તથા યાજકોના વડીલોને ટાટ ઓઢાડીને તેઓને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.
  3. 3 તેઓએ તેને કહ્યું, “હિઝકિયા એવું કહે છે કે, આ દિવસ તો સંકટનો, ઠપકાનો તથા ફજેતીનો દિવસ છે; કેમ કે આ તો છોકરાંનો પ્રસવ થવાની તૈયારી છે, પણ જન્મ આપવાની શક્તિ ના હોય તેવી સ્થિતિ છે.
  4. 4 આશ્શૂરના રાજાએ પોતાનાં સેવક રાબશાકેહને જીવતા ઈશ્વરની નિંદા કરવા માટે મોકલ્યો છે અને તેના સર્વ શબ્દો યહોવાહ તમારા ઈશ્વરે સાંભળ્યા છે. તો હવે તે સાંભળીને તેને માટે તેઓને ધમકાવે; માટે બચી ગયેલાઓને માટે તું પ્રાર્થના કર.”
  5. 5 તેથી હિઝકિયા રાજાના સેવકો યશાયા પાસે આવ્યા.
  6. 6 અને યશાયાએ તેઓને કહ્યું: “તમારા ધણીને કહેજો કે: ‘યહોવાહ કહે છે કે, જે શબ્દો તેં સાંભળ્યા છે, એટલે જે વડે આશ્શૂરના રાજાના સેવકોએ મારી વિરુદ્ધ દુર્ભાષણ કર્યું છે, તેથી તારે બીવું નહિ.
  7. 7 જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ અને તે અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે. ત્યાં હું તેને તલવારથી મારી નંખાવીશ.”
  8. 8 જ્યારે રાબશાકેહ પાછો ગયો ત્યારે તેને માલૂમ પડ્યું આશ્શૂરનો રાજા લિબ્નાહની વિરુદ્ધ યુદ્ધ કરે છે. વળી તેણે સાંભળ્યું હતું કે તે લાખીશથી ઊપડ્યો છે.
  9. 9 જ્યારે તેણે સાંભળ્યું કે કૂશના રાજા તિર્હાકા તથા મિસરીઓ સાથે મળીને મારી સામે યુદ્ધ કરવા ચઢી આવ્યા છે, ત્યારે તેણે ફરીથી યહૂદિયાના રાજા હિઝકિયાની પાસે સંદેશવાહકોને મોકલીને કહાવ્યું,
  10. 10 “હિઝકિયા, યહૂદિયાના રાજાને કહે કે, ‘જે ઈશ્વર પર તું ભરોસો રાખે છે, તે એવું કહીને તમને ન છેતરે કે, “યરુશાલેમ આશ્શૂરના રાજાના હાથમાં નહિ પડશે.”
  11. 11 આશ્શૂરના રાજાઓએ સર્વ દેશોનો નાશ કરીને તેઓના કેવા હાલ કર્યા છે તે તો તેં સાંભળ્યું છે; તો શું તારો બચાવ થશે?
  12. 12 જે પ્રજાઓનો, એટલે ગોઝાન, હારાન, રેસેફ તથા તલાસારમાં રહેનાર એદેનપુત્રોનો મારા પૂર્વજોએ નાશ કર્યો છે, તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે શું?
  13. 13 હમાથનો, આર્પાદનો અને સફાર્વાઈમ નગરનો, હેનાનો તથા ઇવ્વાનો રાજા ક્યાં છે?
  14. 14 હિઝકિયાએ સંદેશવાહકો પાસેથી પત્ર લઈને વાંચ્યો. પછી તેણે યહોવાહના ઘરમાં જઈને તે પત્ર તેમની આગળ ખુલ્લો કર્યો.
  15. 15 હિઝકિયાએ યહોવાહને પ્રાર્થના કરી:
  16. 16 હે સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, કરુબો પર બિરાજમાન, પૃથ્વીનાં સર્વ રાજ્યોના તમે જ એકલા ઈશ્વર છો; તમે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે.
  17. 17 હે યહોવાહ, કાન દઈને સાંભળો. હે યહોવાહ, આંખ ઉઘાડીને જુઓ અને જીવતા ઈશ્વરની નિંદા કરનારા આ સાન્હેરીબના શબ્દો તમે સાંભળો.
  18. 18 હે યહોવાહ, ખરેખર આશ્શૂરના રાજાઓએ બીજી પ્રજાઓનો તથા તેઓના દેશોનો નાશ કર્યો છે એ વાત સાચી છે.
  19. 19 તેઓએ તેઓના દેવોને બાળી નાખ્યા છે; કેમ કે તેઓ દેવો નહોતા, પરંતુ માણસના હાથની કૃતિ-લાકડાં તથા પથ્થર હતા. તેથી આશ્શૂરે તેમનો નાશ કર્યો છે.
  20. 20 તેથી હવે, હે અમારા ઈશ્વર યહોવાહ, તેના હાથમાંથી અમારો બચાવ કરજો, જેથી પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તમે જ એકલા ઈશ્વર યહોવાહ છો.”
  21. 21 પછી આમોસના દીકરા યશાયાએ હિઝકિયાને સંદેશો મોકલીને કહેવડાવ્યું, “યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે, ‘આશ્શૂરના રાજા સાન્હેરીબ વિષે તેં મને પ્રાર્થના કરી છે.’
  22. 22 તે માટે યહોવાહ સાનહેરિબ વિષે જે વચન બોલ્યા છે તે આ છે: “સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે અને હસી કાઢ્યો છે; યરુશાલેમની દીકરીએ તારી તરફ માથું ધુણાવ્યું છે.
  23. 23 તેં કોની નિંદા તથા કોના વિષે દુર્ભાષણ કર્યા છે? અને તેં કોની વિરુદ્ધ તારો અવાજ ઉઠાવ્યો છે અને તારી આંખો ઊંચી કરી છે? ઇઝરાયલનાં પવિત્ર વિરુદ્ધ જ.
  24. 24 તારા ચાકર દ્વારા તેં પ્રભુની નિંદા કરી છે, તેં કહ્યું છે કે, ‘મારા રથોના જૂથ સાથે હું પર્વતોના શિખર પર, લબાનોનના સૌથી અંદરના ભાગોમાં હું ચઢી આવ્યો છું; હું તેના ઊંચા એરેજવૃક્ષોને તથા ઉત્તમ દેવદારવૃક્ષોને હું કાપી નાખીશ; અને હું તેના સૌથી છેવાડા ભાગમાં, તથા તેના ફળદ્રુપ ખેતરના વનમાં પ્રવેશ કરીશ.
  25. 25 મેં કૂવા ખોદીને પરદેશનાં પાણી પીધાં છે; મારા પગનાં તળિયાંથી મેં મિસરની બધી નદીઓને સૂકવી નાખી છે.’
  26. 26 શું તેં નથી સાંભળ્યું કે, મેં પુરાતન કાળથી તે ઠરાવ કર્યો છે અને પ્રાચીન કાળથી તે ઘાટ ઘડ્યો છે? અને હવે હું એવું કરું છું કે, તું કોટવાળાં નગરોને વેરાન કરી નાખીને તેમને ખંડીયેરના ઢગલા કરી નાખનાર થાય.
  27. 27 તેઓના રહેવાસીઓ કમજોર થઈ ગયા છે, તેઓ વિખેરાઈને લજ્જિત થયા. તેઓ ખેતરના છોડ, લીલું ઘાસ, અગાસી પરનાં ઘાસ તથા ખેતરમાનાં ઘાસ, પૂર્વના વાયુ જેવા થઈ ગયા.
  28. 28 પરંતુ તારું ઊઠવું તથા બેસવું, તારું બહાર જવું તથા તારું અંદર આવવું, તથા મારા પર તારું કોપાયમાન થવું, એ સર્વ હું જાણું છું.
  29. 29 મારા પર તારા ક્રોધાયમાન થયાને લીધે તથા તારી ઉદ્ધતાઈ મારા સાંભળવામાં આવ્યાને લીધે હું તારા નાકમાં મારી કડી તથા તારા મુખમાં મારી લગામ નાખીને જે માર્ગે તું આવ્યો છે તે માર્ગે થઈને હું તને પાછો ફેરવીશ.”
  30. 30 તારા માટે આ ચિહ્ન થશે: આ વર્ષે તમે પોતાની જાતે નીપજેલું ધાન્ય ખાશો અને બીજા વર્ષે એના પાકમાંથી નીપજેલું ધાન્ય ખાશો. પરંતુ ત્રીજા વર્ષે તમે વાવશો અને લણશો તથા દ્રાક્ષવાડીઓ રોપશો અને તેના ફળ ખાશો.
  31. 31 યહૂદિયાના કુળનો બચેલો ભાગ ફરીથી મૂળમાંથી પોતાની જડ ફૂટશે અને તેને ફળ આવશે.
  32. 32 કેમ કે, યરુશાલેમ તથા સિયોન પર્વતમાંથી બચેલા લોકો નીકળી આવશે;’ સૈન્યોના યહોવાહની ઉત્કંઠાથી તે થશે.”
  33. 33 તેથી આશ્શૂરના રાજા વિષે યહોવાહ કહે છે: “તે આ નગરમાં આવશે નહિ, ત્યાં બાણ પણ મારશે નહિ, તે ઢાલ લઈને તેની આગળ આવશે નહિ અને તેની સામે મોરચો બાંધશે નહિ.
  34. 34 જે માર્ગે તે આવ્યો તે જ માર્ગે તે પાછો જશે, આ નગરમાં તે પ્રવેશ કરવા પામશે નહિ. એમ હું યહોવાહ બોલું છું.
  35. 35 કેમ કે હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ.”
  36. 36 યહોવાહના દૂતે આવીને આશ્શૂરોની છાવણીમાંના એક લાખ પંચાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. જયારે પરોઢિયે લોકો ઊઠ્યા, ત્યારે તેઓના મૃતદેહો ઠેર ઠેર પડેલા હતાં.
  37. 37 તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ ઇઝરાયલ છોડીને પાછો નિનવે પોતાના ઘરે જતો રહ્યો.
  38. 38 પછી, તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના દીકરા આદ્રામ્મેલેખે અને શારએસેરે તેને તલવારથી મારી નાખ્યો. પછી તેઓ અરારાટ દેશમાં નાસી ગયા. તેના દીકરા એસાર-હાદ્દોને તેની જગ્યાએ રાજ કર્યું.