이사야 47장 구자라트 IRV
- 1 હે બાબિલની કુંવારી દીકરી, તું નીચે આવીને ધૂળમાં બેસ; હે ખાલદીઓની દીકરી, રાજ્યાસન વિના જમીન પર બેસ. તું હવે પછી ઉમદા અને કોમળ કહેવાશે નહિ.
- 2 ઘંટી લઈને લોટ દળ; તારો બુરખો ઉતાર, તારી સુરવાલ ઊંચી કર, પગ ઉઘાડા કર, નદીઓ ઓળંગીને જા.
- 3 તારી કાયા ઉઘાડી થશે, હા, તારી લાજ પણ જશે: હું વેર લઈશ અને કોઈને છોડીશ નહિ.
- 4 આપણો ઉદ્ધાર કરનાર, જેમનું નામ સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના પવિત્ર છે.
- 5 હે ખાલદીઓની દીકરી, મૌન રહીને બેસ અને અંધારામાં જા; કેમ કે હવે પછી તું રાજ્યોની રાણી કહેવાઈશ નહિ.
- 6 હું મારા લોકો ઉપર કોપાયમાન થયો; મેં પોતાના વારસાને ભ્રષ્ટ કર્યો અને તેઓને તારા હાથમાં સોંપ્યા, પરંતુ તેઁ તેઓના પ્રત્યે દયા રાખી નહિ; તેઁ વૃદ્ધો ઉપર તારી અતિ ભારે ઝૂંસરી મૂકી.
- 7 તેં કહ્યું, “હું સર્વકાળ સુધી રાણી તરીકે શાસન કરીશ.” તેં કદી એ વાત ધ્યાનમાં લીધી નહિ અને તેનું પરિણામ શું આવશે એ લક્ષમાં લીધું નહિ.
- 8 તેથી હવે આ સાંભળ, હે એશઆરામમાં નિશ્ચિંત થઈને બેસી રહેનારી, તું તારા હૃદયમાં કહે છે, “હું અસ્તિત્વમાં છું અને મારા જેવું બીજું કોઈ નથી; હું વિધવા તરીકે ક્યારેય બેસીશ નહિ, કે કદી બાળકો ગુમાવવાનો અનુભવ કરીશ નહિ.”
- 9 પરંતુ આ બન્ને વિપત્તિઓ તારી ઉપર એક જ દિવસે એક જ ક્ષણે આવશે એટલે કે બાળકો ગુમાવવાં અને વિધવાવસ્થા; આ સંપૂર્ણ વિપત્તિઓ એક જ દિવસે તારા પર આવશે. પુષ્કળ જાદુ અને જંતરમંતર તથા તાવીજ હોવા છતાં તે તારા પર આવશે.
- 10 તેં તારી દુષ્ટતા પર ભરોસો રાખ્યો છે; તેં કહ્યું કે, “મને કોઈ જોનાર નથી;” તારી બુદ્ધિ અને તારું ડહાપણ તમને ગેરમાર્ગે દોરી જાય છે, પરંતુ તું તારા હૃદયમાં કહે છે, “હજી હું અસ્તિત્વ ધરાવું છું અને મારા જેવું બીજું કોઈ નથી.”
- 11 તારા પર આફત આવશે; તેને તું જંતરમંતરથી ટાળી શકીશ નહિ. વિનાશ તારા પર આવી પડશે; તે સંકટને તમે દૂર કરી શકશો નહિ. તમને ખબર પડે તે અગાઉ જ આપત્તિ તારા પર ત્રાટકશે.
- 12 તેં બાળપણથી વિશ્વાસુપણે જે પઠન કર્યું છે તે તારા મંત્રો અને પુષ્કળ જાદુને ચાલુ રાખજે; કદાચ તું સફળ થશે, કદાચ તું વિનાશને ભય પમાડી શકે.
- 13 અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તે માણસોને ઊભા થવા દો અને તને બચાવવા દો - જેઓ નક્ષત્રો અને તારાઓ પર નજર રાખે છે, જેઓ નવો ચંદ્ર સૂચવે છે - તારા પર જે આવનાર છે તેમાંથી તારો બચાવ થાય એવું તું માનતી હશે.
- 14 જુઓ, તેઓ ખૂપરા જેવા થશે, અગ્નિ તેઓને બાળી નાખશે; તેઓ અગ્નિની જ્વાળાઓથી પોતાને બચાવી શકશે નહિ; ત્યાં તેઓને તાપવા લાયક અંગારા કે પાસે બેસવા લાયક અગ્નિ થશે નહિ.
- 15 જે લોકોની સાથે તેં તારી યુવાનીના સમયથી વેપાર કર્યો છે, તેઓ તારા માટે પરિશ્રમ સિવાય બીજું કશું જ નહિ હોય; તેઓ દરેક પોતપોતાના માર્ગે ભટકતા રહેશે; તને બચાવનાર કોઈ હશે નહિ.