사도행전 16장 구자라트 IRV

  1. 1 પછી પાઉલ દેર્બે તથા લુસ્ત્રામાં આવ્યો, તિમોથી નામે એક શિષ્ય હતો; તે એક વિશ્વાસી યહૂદી સ્ત્રીનો દીકરો હતો, પણ તેનો પિતા ગ્રીક હતો.
  2. 2 લુસ્ત્રા તથા ઈકોનિયામાંના ભાઈઓમાં તિમોથીની સાક્ષી સારી હતી.
  3. 3 તેને પાઉલ પોતાની સાથે લઈ જવાની ઇચ્છા રાખતો હતો, તેને લઈને તે પ્રાંતોમાંના યહૂદીઓને લીધે તેણે તેની સુન્નત કરાવી; કેમ કે સર્વ જાણતા હતા કે તેનો પિતા ગ્રીક હતો.
  4. 4 જે જે શહેરમાં થઈને પાઉલ અને તિમોથી ગયા ત્યાંના લોકોને તેઓએ યરુશાલેમમાંના પ્રેરિતોએ તથા વડીલોએ કરેલા ઠરાવો પાળવા સારુ સોંપ્યાં.
  5. 5 એ રીતે વિશ્વાસી સમુદાય વિશ્વાસમાં બળવાન બનતો ગયો, અને રોજેરોજ તેઓની સંખ્યા વધતી ગઈ.
  6. 6 તેઓને આસિયામાં સુવાર્તા પ્રગટ કરવાની પવિત્ર આત્માએ મના કરી તેથી તેઓ ફ્રૂગિયા તથા ગલાતિયાના પ્રદેશમાં ફર્યા.
  7. 7 મુસિયાની સરહદ સુધી આવીને તેઓએ બિથુનિયામાં જવાનો પ્રયત્ન કર્યો; પણ ઈસુના આત્માએ તેઓને જવા દીધાં નહિ;
  8. 8 માટે તેઓ મુસિયાને બાજુએ મૂકીને ત્રોઆસ આવ્યા.
  9. 9 રાત્રે પાઉલને એવું દર્શન થયું કે મકદોનિયાના એક માણસે ઊભા રહીને તેને વિનંતી કરીને કહ્યું કે મકદોનિયામાં આવીને અમને સહાય કર.
  10. 10 પાઉલને દર્શન થયા પછી તેઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે અમને બોલાવ્યા છે, એવું અનુમાન કરીને અમે તરત મકદોનિયામાં જવાની તૈયારી કરી.
  11. 11 એ માટે અમે વહાણમાં બેસીને ત્રોઆસથી સીધા સામોથ્રાકી આવ્યા, બીજે દિવસે નિઆપોલીસ પહોંચ્યા;
  12. 12 ત્યાંથી ફિલિપ્પી ગયા, જે મકદોનિયા પ્રાંતમાંનું મુખ્ય શહેર છે, અને તે રોમનોએ વસાવેલું છે; તે શહેરમાં અમે કેટલાક દિવસ રહ્યા.
  13. 13 શહેરની બહાર નદીના કિનારે પ્રાર્થનાસ્થાન હોવું જોઈએ એવું ધારીને વિશ્રામવારે અમે ત્યાં ગયા; ત્યાં જે સ્ત્રીઓ એકઠી થઈ હતી તેઓને અમે બેસીને બોધ કર્યો.
  14. 14 અને થૂઆતૈરા શહેરની, જાંબુડિયાં વસ્ત્ર વેચનારી લુદિયા નામની એક સ્ત્રી હતી જે ઈશ્વરને ભજનારી હતી, તેણે અમારું સાંભળ્યું, તેનું અંતઃકરણ પ્રભુએ એવું ઉઘાડ્યું કે, તેણે પાઉલના કહેલા વચનો મનમાં રાખ્યા.
  15. 15 તેનું તથા તેના ઘરનાનું બાપ્તિસ્મા થયા પછી તેણે વિનંતી કરીને કહ્યું કે, જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હો, તો મારા ઘરમાં આવીને રહો; તેણે અમને ઘણો આગ્રહ કર્યો.
  16. 16 અમે પ્રાર્થનાસ્થાને જતા હતા ત્યારે એમ થયું કે, એક જુવાન દાસી અમને મળી, કે જેને અગમસૂચક દુષ્ટાત્મા વળગ્યો હતો, તે ભવિષ્યકથન કરીને પોતાના માલિકોને ખૂબ કમાણી કરી આપતી હતી.
  17. 17 તેણે પાઉલની તથા અમારી પાછળ આવીને બૂમ પાડીને કહ્યું કે, આ માણસો પરાત્પર ઈશ્વરના સેવકો છે, જેઓ તમને ઉદ્ધારનો માર્ગ પ્રગટ કરે છે.
  18. 18 તેણે ઘણાં દિવસો સુધી એમ કર્યા કર્યું, ત્યારે પાઉલે બહુ નારાજ થઈને પાછા ફરીને તે દુષ્ટાત્માને કહ્યું કે, ઈસુ ખ્રિસ્તને નામે હું તને આજ્ઞા કરું છું કે એનામાંથી નીકળ; અને તે જ ઘડીએ તે તેનામાંથી નીકળી ગયો.
  19. 19 પણ તેના માલિકોએ પોતાના લાભની આશા નષ્ટ થઈ છે, એ જોઈને પાઉલ તથા સિલાસને પકડ્યા, અને તેઓને ચૌટાનાં અધિકારીઓની પાસે ઘસડી લાવ્યા.
  20. 20 તેઓને અધિકારીઓની આગળ લાવીને કહ્યું કે, આ માણસો યહૂદી છતાં આપણા શહેરમાં બહુ ધમાલ મચાવે છે.
  21. 21 અને આપણ રોમનોને જે રીતરિવાજો માનવા અથવા પાળવા ઉચિત નથી, તે તેઓ શીખવે છે.
  22. 22 ત્યારે સર્વ લોકો તેમની સામે ઊઠ્યાં, અને અધિકારીઓએ તેઓનાં વસ્ત્રો ફાડી નાખીને તેઓને ફટકા મારવાની આજ્ઞા આપી.
  23. 23 અને અધિકારીઓએ ઘણાં ફટકા મારીને તેઓને પાઉલ અને સિલાસને જેલમાં પૂર્યા તથા જેલરને તેઓની ચોકસાઈ રાખવાની આજ્ઞા આપી.
  24. 24 અને અમલદારને એવી આજ્ઞા મળવાથી તેઓને અંદરનાં જેલખાનામાં પૂરવામાં આવ્યા, અને તેઓના પગ હેડમાં બાંધી દીધાં.
  25. 25 ત્યાં મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા તથા ઈશ્વરનાં સ્ત્રોત્ર ગાતા હતા, બીજા કેદીઓ તે સાંભળતાં હતા;
  26. 26 ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે, જેલના પાયા હાલ્યા; અને બધા દરવાજા તરત ઊઘડી ગયા; અને સર્વના બંધનો છૂટી ગયા.
  27. 27 જેલર ઊંઘમાંથી જાગી ઊઠ્યો, અને જેલના દરવાજા ખુલ્લાં જોઈને કેદીઓ નાસી ગયા હશે, એમ વિચારીને તે તરવાર ઉગામીને આત્મહત્યા કરવા જતો હતો.
  28. 28 પણ પાઉલે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, અમે સહુ અહીં છીએ, માટે તું પોતાને કંઈ પણ ઈજા કરીશ નહિ.
  29. 29 ત્યારે તે દીવો મંગાવીને અંદર કૂદી આવ્યો, અને ધ્રૂજતો ધ્રૂજતો પાઉલ તથા સિલાસને પગે પડ્યો.
  30. 30 તેઓને બહાર લાવીને તેણે કહ્યું કે, હે સાહેબો, ઉદ્ધાર પામવા સારુ મારે શું કરવું જોઈએ?
  31. 31 ત્યારે તેઓએ કહ્યું કે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ ઉદ્ધાર પામશો.
  32. 32 ત્યારે તેઓએ જેલરને તથા જે તેનાં ઘરમાં હતાં તે સર્વને પ્રભુનાં વચનો કહી સંભળાવ્યાં.
  33. 33 પછી રાતના તે જ સમયે તે જેલરે તેઓના સોળ ધોયા અને તરત તે તથા તેનાં ઘરનાં બધા માણસો બાપ્તિસ્મા પામ્યા.
  34. 34 જેલરે તેઓને પોતાને ઘરે લાવીને તેઓની આગળ ભોજન પીરસ્યું, અને તેના ઘરનાં સર્વએ ઈશ્વર પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો.
  35. 35 દિવસ ઊગતાં અધિકારીઓએ સુરક્ષા કર્મચારીઓને મોકલીને કહેવડાવ્યું કે, તે માણસોને છોડી દો.
  36. 36 પછી જેલરે પાઉલને એ વાતની ખબર આપી કે, અધિકારીઓએ તમને છોડી દેવાનું કહેવડાવ્યું છે, માટે હવે તમે નીકળીને શાંતિએ ચાલ્યા જાઓ.
  37. 37 પણ પાઉલે તેઓને કહ્યું કે, અમને ગુનેગાર ઠરાવ્યાં વગર તેઓએ અમો રોમનોને જાહેર રીતે માર મારીને જેલમાં નાખ્યા છે, અને હવે શું તેઓ અમને છાની રીતે બહાર કાઢી મૂકે છે? ના, એમ તો નહિ, પણ તેઓ પોતે આવીને અમને બહાર કાઢે.
  38. 38 ત્યારે સુરક્ષા કર્મચારીઓએ અધિકારીઓને એ વાતની ખબર આપી. ત્યારે તેઓ રોમન છે, એ સાંભળીને તેઓ ગભરાઈ ગયા.
  39. 39 પછી અધિકારીઓએ આવીને તેઓને કાલાવાલા કર્યા, અને તેઓને બહાર લાવીને શહેરમાંથી નીકળી જવાને વિનંતી કરી.
  40. 40 પછી તેઓ જેલમાંથી નીકળીને લુદિયાને ત્યાં આવ્યા; અને ભાઈઓને મળીને તેઓને દિલાસો આપ્યો, પછી ત્યાંથી વિદાય થયા.