시편 50편 구자라트 IRV

  1. 1 સામર્થ્યવાન, ઈશ્વર, યહોવાહ, બોલ્યા છે અને તેમણે સૂર્યના ઉદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે.
  2. 2 સિયોન, જે સૌંદર્યની સંપૂર્ણતા છે, તેમાંથી ઈશ્વર પ્રકાશે છે.
  3. 3 આપણા ઈશ્વર આવશે અને છાના રહેશે નહિ; તેમની આગળ અગ્નિ બાળી મૂકશે અને તેમની આસપાસ મહાતોફાન જાગશે.
  4. 4 પોતાના લોકોનો ન્યાય કરવા તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે.
  5. 5 “જેઓએ બલિદાનથી મારી સાથે કરાર કર્યો છે; એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો.”
  6. 6 આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરશે, કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે.
  7. 7 “હે મારા લોકો, સાંભળો અને હું બોલીશ; હું ઈશ્વર, તમારો ઈશ્વર છું.
  8. 8 તારા બલિદાનોને લીધે હું તને ઠપકો આપીશ નહિ; તારાં દહનીયાર્પણો નિરંતર મારી આગળ થાય છે.
  9. 9 હું તારી કોડમાંથી બળદ અથવા તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ.
  10. 10 કારણ કે અરણ્યનું દરેક પશુ અને હજાર ડુંગરો ઉપરનાં પશુઓ મારાં છે.
  11. 11 હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું અને જંગલના હિંસક પશુઓ મારાં છે.
  12. 12 જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તમને કહીશ નહિ; કારણ કે જગત તથા તેમાંનું સર્વસ્વ મારું છે.
  13. 13 શું હું બળદોનું માંસ ખાઉં? અથવા શું હું બકરાઓનું લોહી પીઉં?
  14. 14 ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ અને પરાત્પર પ્રત્યેની તારી પ્રતિજ્ઞા પૂર્ણ કર.
  15. 15 સંકટને સમયે મને વિનંતિ કર; હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે.”
  16. 16 પણ ઈશ્વર દુષ્ટને કહે છે કે, “તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ? મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ?
  17. 17 છતાં પણ તું મારી શિખામણનો તિરસ્કાર કરે છે અને મારા શબ્દો તું તારી પાછળ નાખે છે.
  18. 18 જ્યારે તું ચોરને જુએ છે, ત્યારે તું તેને સંમતિ આપે છે; જેઓ વ્યભિચારમાં જોડાયેલા છે તેઓનો તું ભાગીદાર થયો છે.
  19. 19 તું ભૂંડાઈને તારું મોં સોંપે છે અને તારી જીભ કપટ રચે છે.
  20. 20 તું બેસીને તારા પોતાના ભાઈઓની વિરુદ્ધ બોલે છે; તું તારી પોતાની માતાના દીકરાની બદનામી કરે છે.
  21. 21 તેં આવાં કામ કર્યાં છે, પણ હું ચૂપ રહ્યો, તેથી તેં વિચાર્યું કે હું છેક તારા જેવો છું. પણ હું તને ઠપકો આપીશ અને હું તારાં કામ તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ.
  22. 22 હે ઈશ્વરને વીસરનારાઓ, હવે આનો વિચાર કરો; નહિ તો હું તમારા ફાડીને ટુકડેટુકડા કરીશ અને તમને ત્યાં છોડાવવા માટે કોઈ નહિ આવે.
  23. 23 જે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવે છે તે મને માન આપે છે અને જે પોતાના માર્ગો નિયમસર રાખે છે તેને હું ઈશ્વર દ્વારા મળતો ઉદ્ધાર બતાવીશ.”