이사야 31장 구자라트 IRV
- 1 જેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે અને ઘોડાઓ પર આધાર રાખે છે, તેઓને અફસોસ છે; અને તેઓ રથો પુષ્કળ હોવાથી તેઓના પર ભરોસો રાખે છે અને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે. પણ તેઓ ઇઝરાયલના પવિત્રની તરફ દૃષ્ટિ કરતા નથી, કે યહોવાહને શોધતા નથી.
- 2 તેમ છતાં ઈશ્વર જ્ઞાની છે, તે આફત લાવશે અને પોતાના શબ્દો પાછા લેશે નહિ. અને તે દુષ્ટોનાં કુટુંબની સામે અને પાપ કરનારને મદદ કરનારાની સામે તે ઊઠે છે.
- 3 મિસરીઓ તો માણસ છે ઈશ્વર નહિ, તેઓના ઘોડા માત્ર માંસ છે, આત્મા નહિ. જ્યારે યહોવાહ પોતાનો હાથ લાંબો કરશે, ત્યારે જે સહાય કરનાર છે તે ઠોકર ખાશે અને સહાય લેનાર પડી જશે; બન્ને એકસાથે નાશ પામશે.
- 4 યહોવાહે મને એમ કહ્યું કે, “જેમ કોઈ સિંહ કે સિંહનું બચ્ચું પોતાના શિકાર પર ઘૂરકે છે, ત્યારે જો તેની સામે ભરવાડોનો મોટો જથ્થો બોલાવવામાં આવે, તો તેઓની બૂમ સાંભળીને તે બી જતો નથી અને તેઓ બૂમ પાડે છે તેથી તે ભયભીત થતો નથી; તેમ સૈન્યોના યહોવાહ, સિયોન પર્વત પર તથા તેના ડુંગર પર યુદ્ધ કરવાને ઊતરી આવશે.
- 5 ઊડનારા પક્ષીની જેમ સૈન્યોના યહોવાહ યરુશાલેમનું રક્ષણ કરશે; તે આચ્છાદન કરીને તેને છોડાવશે, તેને છોડાવીને તે તેનું રક્ષણ કરશે.
- 6 હે ઇઝરાયલના લોકો જેમની સામેથી તમે મુખ ફેરવી લીધું છે તેમની તરફ પાછા ફરો.
- 7 કેમ કે, તે દિવસે તેઓ દરેક પોતાના હાથોએ બનાવેલી ચાંદીની અને સોનાની પાપરૂપી મૂર્તિને ફેંકી દેશે.
- 8 ત્યારે જે તલવાર માણસની નથી તેનાથી આશ્શૂર પડશે અને તેનો સંહાર કરશે; તે તલવારથી નાસી જશે અને તેના જુવાન પુરુષોને સખત પરિશ્રમ કરવા માટે ફરજ પાડવામાં આવશે;
- 9 તેઓ ત્રાસને કારણે પોતાનો બધો ભરોસો ખોઈ બેસશે અને તેના સરદારો યહોવાહની યુદ્ધની ધ્વજાથી બીશે.” યહોવાહ, જેમનો અગ્નિ સિયોનમાં અને જેમની ભઠ્ઠી યરુશાલેમમાં છે, તેમનું આ વચન છે.